ગુજરાત સરકારમાં ખાનગી શાળાઓના ફી નિર્ધારણ માટે વાલી સ્વરાજ મંચની રજૂઆત

તારીખ:12 ફેબ્રુઆરી 2017
અધ્યક્ષશ્રી
અને સમિતિના અન્ય સભ્યો
સ્વનિર્ભર શાળાઓની ફી બાબતે એકઝમશન લિમીટ સુનાવણી સમિતિ, ગાંધીનગર
માનનીય શ્રી
ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) અધિનિયમ ૨૦૧૭ ના સંદર્ભે સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ અનુસંધાને ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આપની સમિતિ કાર્યરત છે. જેમાં વાલીઓના પ્રતિનિધિઓ તરીકે અમારી રજૂઆત નીચે મુજબ છે.
(૧) ગુજરાતમાં ખાનગી શાળાઓને સરકાર તરફથી ગ્રાન્ટ ઈન એઈડના સ્વરૂપે નાણાંકીય મદદ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી આવી ગ્રાન્ટેડ શાળાઓમાં એક સમાન ગુણવત્તા અને સમાન સગવડો સચવાય રહે, તે માટે નિયત કરેલા માપદંડો પ્રમાણે એકસરખી નાણાંકીય ફાળવણી કરવામાં આવે છે.* શહેરી-ગ્રામીણ, વિકસિત-અવિકસિત તમામ વિસ્તારોમાં નફો નહિ કરવાના ઉદ્દેશ્યથી ચાલતા અને કાયદાનુસાર નોંધાયેલા ટ્રસ્ટો દ્વારા ચલાવાતી આ ખાનગી શેક્ષણિક સંસ્થાઓનું પ્રદાન ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ રહ્યું છે.
ઉપરોક્ત વિગતોનો ધ્યાનમાં લેતાં એ હકીકત પણ નોંધવી જોઈએ કે, એક સમાન ગ્રાન્ટ મેળવતી શાળાઓની ગુણવત્તામાં ઘણો તફાવત હોય છે. કેટલીક શાળાઓના પરીણામો ઉત્સાહજનક હોય છે, ત્યારે કેટલીક શાળાઓના પરીણામો નિરાશાજનક હોય છે. તેના કારણોમાં મુખ્યત્વે શાળા સંચાલકોની ક્ષમતા અને નિષ્ઠાનો તફાવત મુખ્યત્વે જવાબદાર હોય છે. (જેને નાણાંકીય બાબતો કે ભૌતિક સમૃદ્ધિ સાથે મહદઅંશે સંબંધ હોતો નથી.) સંચાલકોના વલણો શિક્ષકોની સજ્જતા અને નિષ્ઠાને પ્રેરણારૂપ વાતાવરણ આપે છે. જેના કારણે શાળાઓ ઊંચી ગુણવત્તા અને સારું પરિણામ લાવે છે.*
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે બજારીકરણનું દૂષણ વ્યાપક બન્યુ છે. જેમાં વાલીઓનું શોષણ અને વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ શિક્ષણમાં વધતી જતી અસમાનતા અને ભેદભાવનું વાતાવરણ છે. *શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં પ્રવેશેલા વ્યાપારી માનસિકતા ધરાવતા સંચાલકો હોશિયારીથી ખર્ચાળ વ્યવસ્થાઓ વડે ભ્રામક સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. જેના કારણે ઉંચી ફી અને સગવડોની ઝાકમઝાળથી વાલીઓમાં દેખાદેખી અને સામાજિક પ્રતિષ્ઠાનો મુદ્દો વ્યાપક બન્યો છે. જેને વિદ્યાર્થીઓની તેજસ્વિતા કે શિક્ષણશાસ્ત્રની મૂળભૂત આવશ્યકતાઓ સાથે કોઈ જ સંબંધ નથી
શિક્ષણક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા આપની આ સમિતિના સભ્યો અમારી ઉપરોક્ત સમજણને સરળતાથી સ્વીકારી શકશે. આથી આપની સમક્ષ અમારી રજૂઆત છે કે, ગુજરાત સરકારના ખાનગી શાળાઓને ગ્રાન્ટ ઈન એઈડના ધોરણે અપાતી એક સમાન નાણાંકીય મદદના સિદ્ધાંતનો સ્વનિર્ભર શાળાઓમાં પણ અમલ કરવો જોઈએ. ગુજરાતની તમામ શાળાઓમાં એક સમાન જ ફીનું ધોરણ અમલી થવું જોઈએ. અમીર વાલીઓના બાળકો માટે અમીર શાળાઓ અને ગરીબ વાલીઓના બાળકો માટે ગરીબ શાળાઓનું ભેદભાવપૂર્ણ અને તણાવ સર્જન કરનારું વાતાવરણ ન બને, તેની ગંભીરતા સમજવા આપ સૌને વિનંતી છે. જે ગુજરાતના સ્વસ્થ વિકાસ માટે અનિવાર્ય છે. એકથી વધારે જુદા જુદા ફી માળખા બનાવવા અન્યાયકારી છે.
(૨) ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણમાં 15000 માધ્યમિક શિક્ષણમાં 25000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 27000 જાહેર કરેલ છે. આ જાહેરાત કરતાં પહેલા શિક્ષણ મંત્રીએ સ્વનિર્ભર શાળા સંચાલકો અને વાલીઓ સાથે પૂરતી ચર્ચાઓ કરેલ હતી. તમામ પક્ષોની રજૂઆતો સાંભળ્યા પછી પુખ્ત વિચારણાના અંતે ગુજરાત સરકારે ફી અંગેનુ માળખું જાહેર કરેલ છે. જેને વાલીઓના પ્રતિનિધિ તરીકે અમે સમાધાનકારી વલણથી સ્વીકારેલ છે.
સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે આપની સમિતિ જ્યારે નવેસરથી વાલીઓ અને સંચાલકોના પ્રતિનિધિઓની રજુઆતો સાંભળી રહી છે, ત્યારે અમારો આપને આગ્રહ છે કે, *ગુજરાતના શિક્ષણ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને આપે બોલાવીને સાંભળવા જોઈએ. કારણ કે ગુજરાત સરકારે 15000 / 25000 અને 27000ના માળખાને નક્કી કરતી વખતે જે આધારો અને માપદંડો ધ્યાનમાં લીધેલા છે, તે આપની સમિતિની કાર્યવાહી માટે અતિ મહત્વના છે.* આ સંદર્ભે અમારી આપની પાસે રજૂઆત છે કે સરકારે જાહેર કરેલ 15000 / 25000 અને 27000 ના માળખાને સ્વીકારી, તે મુજબની ભલામણ કરવી જોઈએ.
(૩) અન્ય એક મુદ્દા તરફ પણ આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ. આરટીઈ કાયદા મુજબ સ્વનિર્ભર શાળાઓમાં પચીસ ટકા બાળકોને મફત પ્રવેશ આપવામાં આવે છે. જેના વળતર તરીકે ગુજરાત સરકાર કોઈપણ સ્વનિર્ભર શાળાને ભેદભાવ વગર ૧૦,૦૦૦ રૂપિયાની સહાય રકમ આપે છે. કહેવાતી મોંઘી શાળાઓ અને માફકસર ફી લેતી શાળાઓની પોતાની ફીના ધોરણોમાં મોટો તફાવત હોવા છતાં, સરકાર તેમની સાથે એક સમાન ધોરણે વ્યવહાર કરે છે. જે સમજણપૂર્વકનું કૃત્ય છે. તે જ સમજણથી તમામ સ્વનિર્ભર શાળાઓનું ગુજરાતભરમાં એકસરખું જ ફી માળખું જાહેર થવું જોઈએ.
આપના તરફથી હકારાત્મક પહેલની અપેક્ષા સાથે,
‘વાલી સ્વરાજ મંચ’ના પ્રતિનિધિઓ
અમિત પંચાલ ૭૯૮૪૧૫૨૮૨૯
ધર્મેશ પટેલ ૮૮૬૬૬૭૦૮૭૬
સુખદેવ પટેલ ૯૮૨૫૦૧૨૦૩૬
તેમજ અન્ય વાલીમંડળના પ્રતિનિધિઓ
નોંધ : વિચારો લેખકના સ્વતંત્ર વિચારો છે.