મહુડીની સુખડી ઘરે લઈ જઈને ખાવ
આજથી લગભગ ૫ વર્ષ પહેલા હું અને મારી પત્ની, મહુડી ગયા હતાં. મહુડી, ગાંધીનગર પાસે આવેલું, ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું જૈન તીર્થ સ્થાન છે. નવાં-નવાં લગ્ન અને પાછું પત્ની ધાર્મિક બહુ. એટલે શિમલા, કુલુ, મનાલી જવાને બદલે એ મને મંદિર મંદિર બહુ ફેરવતી. કોઈ મહેમાન આવે તો તેને પણ મંદિર લઈ જવાનું. એ અરસામાં મહુડી બે મહિનામાં સતત ૪ વાર જવાનું થયું હતું.
ધર્મપત્નીજીએ કહ્યું કે, “મહુડીનો પ્રસાદ(સુખડી) મંદિર બહાર ના લઈ જવાય. નહી તો અપશુકન થાય. લોકોને અકસ્માત થયેલાં, હાથ-પગ તૂટી ગયેલા અને પરિવારમાં મરણ થયેલાં”, એવાં બધાં કિસ્સા એણે મને સંભળાવ્યા. “એક ભાઈની તો પત્ની ટ્રક નીચે આવીને મરી ગયેલી.” ખબર નહી કેમ પણ આ છેલ્લું પત્નીવાળું મને કુતુહલ લાગ્યું. સાલું! “આમ કે આમ, ગુટલીયો કે દામ!!”(Just Kidding) અને મેં મહુડીની સુખડી ઘરે લાવીને ખાવાનું નક્કી કર્યું. હવે, આવી ધાર્મિક પત્ની તો સુખડી ઘરે લાવવા ના દે એટલે તેની જાણ બહાર અડધી પ્લેટ સુખડી હાથરૂમાલમાં છુપાવી લીધી. પછી ગાંધીનગર ફરતા ફરતા ઘરે સતાધાર ચાર રસ્તા, ઘાટલોડિયા, અમદાવાદ આવ્યા. છેક રાતે ઘરે પહોંચ્યા અને મેં એક પ્લેટમાં સુખડી કાઢી અને ખાવા બેઠો. એ ફ્રેશ થઈને પાછી આવી ત્યાં સુધી મેં અડધી સુખડી ખાઈ ગયેલો. એણે સુખડી જોતાં જ બુમાબુમ કરી મૂકી. જાણે આભ ના તૂટી પડ્યું હોય. આંખોમાંથી દોઢ દોઢ મણના આંસુડા ચાલુ થઈ ગયા. મેં ખુબ મોટું પાપ જે કર્યું હતું. મારા હાથમાંથી એણે બાકીની સુખડી છીનવી લીધી. લગભગ બે કલાક જબરજસ્ત માથાકૂટ ચાલી. પણ, તમે જાણો છો એમ, ધર્મપત્નીજી આ વખતે પણ જીતી ગયા.
બીજા દિવસે એ સવારે સુખડી લઈને ઊપડી પાછી મહુડી. ત્યાં પાછી મૂકી આવી. સાલું! આ બે દિવસ કોઈ ટ્રકવાળાની હડતાલ પણ નો’તી ચાલતી, તોય એ સહી-સલામત પાછી આવી ગઈ. જેવાં જેના નસીબ!!! પણ એ દિવસ અને આજનો દિવસ એ મને ક્યારેય મહુડી નથી લઈ ગઈ. આજે ૫ વર્ષ ઉપર થયું તેમ છતાં ના મને કશું થયું ના તો એને કશું થયું. બેવ જીવીએ છીએ અને રસ્તા પર ટ્રકો પણ ચાલે છે. હા… હા… હા…
બહુ થઈ મજાક….
તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮એ મેં ફેસબુક પર પોસ્ટ મૂકી, “પાંચ વર્ષ પહેલાં મહુડીથી સુખડી ઘરે લાવીને ખાધી’તી. હું હજુય જીવું છું.” અને મારા જેવાં ઘણા લોકો નીકળ્યા કે જેઓ મહુડીની સુખડી ઘરે લઈને આવ્યા, ખાધી અને હજુય જીવે છે. તો મને એમ સવાલ થાય છે કે જે મરતા’તા એ કોણ હતા? ભગવાનનો પ્રસાદ તમે મંદિર બહાર લઈ જાવ એટલે શું એ આપણને જાનથી મારી નાંખે? કેમ? સુખડી મંદિર પરિસર બહાર ખાવાથી મરતા હતાં કે આકસ્મિક થતાં અકસ્માત, મૃત્યુને સુખડી સાથે જોડી દેતાં હતા? કે પછી કોઈએ આવી અફવા / અંધશ્રદ્ધા ફેલાવી હશે?
મિત્રો અહી કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી પણ શ્રદ્ધાના નામે તમને કેવી કેવી રીતે બીવડાવવામાં આવે છે, તે બતાવવાનો છે. અહી પોસ્ટની લીંક આપું છું. કોમેન્ટમાં જઈને જુઓ કે કેટલાં બધા લોકો છે મારા જેવાં, જેમણે મહુડીની સુખડી મંદિર પરિસરની બહાર ખાધી છે અને એ લોકો આજે પણ જીવે છે. તમે પણ હવે જયારે મહુડી જાવ ત્યારે સુખડી ઘરે લઈને આવજો. અંધશ્રદ્ધા ભગાવજો.
વિશેષ નોંધ : જો મહુડીની સુખડી ઘરે લઈને જવાથી પત્ની મરતી હોત તો પુરુષો છૂટાછેડા માટે કોર્ટમાં નહી, મહુડી જતાં હોત. અને આજે અમે બધાં પુરુષો સુખી સુખી હોત… સૌને વિનંતી કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફર્ક સમજે.
https://www.facebook.com/kaushik.parmar.1078/posts/1497881706987369
મારા જેવાં જ કેટલાંક લોકોની પોસ્ટમાં કોમેન્ટ કઇંક આવી છે.
Ashok Bhavanbhai Sisara : ભાઈ મેં પણ 2002 માં ગાંધીનગર ભણતો ત્યારે હોસ્ટેલમાં લઇ આવ્યતા અને અમે 9 મિત્રો એ મળીને ખાધીતી 9 માંથી એકેય ને હજુ સુધી કાઈ નથી થયું…..
Anil Parmar : બધા ગામ ના છોકરા ફરવા ગયા હતા બધો એ ત્યાં સુખડી ખાધિ હું છાનો માનો લઈ લીધી ને ઘરે લઈ ખાધી કઈ ફરક ન પડ્યો આ તો વ્હેમ છે
Mukund Sindhav : अमारी रेसनालीसट एसोसीयेयन तरफ थी आज थी लगभग पंदर वर्ष पहेला लावेल हता अने सामुहीक भोजन करेल हतु आजे बधा सभ्यो सलामत छे, मात्र अफवा अने अंधश्रधा सिवाय कइ नथी,
Piyush Solanki : Hu pan ek var lavelo chhu
Very nice work.