ચાલો! “આત્મનિર્ભરતા” ની શરૂઆત અહીંથી કરીએ

આત્મનિર્ભરતા ખૂબ જ સારી બાબત છે અને પ્રોત્સાહક છે, પણ આપણે જે સામાજિક વ્યવસ્થા ઉભી કરી છે ત્યાં આત્મનિર્ભરતા શોધી જડતી નથી.
રોડ ઉપર કચરો કોઈ નાંખે અને સાફ કોઈ બીજું કરે…
અહીં ક્યાં આત્મનિર્ભરતા આવી ?
પણ નાની-નાની વાતોમાં પણ આત્મનિર્ભર બનો તો સારું પણ શરૂઆત નેતાઓ અને અધિકારીઓથી કરવી જોઈએ જેથી દાખલો બેસે અને પ્રજા તેનું અમલીકરણ કરે…
દરેક સરકારી કચેરીમાં નેતા કે અધિકારીને મળવા જાઓ તો એક કોમન દ્રશ્ય જોવા મળશે, આ નેતા કે બાબુ બેલ મારશે એટલે પટ્ટાવાળા બિચારા દોડતા થઈ જશે, પીવાના પાણીનો ગ્લાસ લઈને આવશે.
આને બદલે એટલું કરો કે, દરેક નેતા અને દરેક અધિકારી પોતાનું પીવાના પાણીનો ગ્લાસ જાતે ભરી પાણી પીવે અને તેના મહેમાનો માટે પણ પાણી તે લઈને આવે..
આટલું પણ નહીં થઈ શકે? પીવાનું પાણી પણ પટ્ટાવાળા આપે ત્યારે પીવે?
નેતા અને અધિકારીને ફાળવેલી સરકારી ગાડી તે ખુદ પોતે ચલાવે અથવા તો આત્મનિર્ભર બની સરકારી ગાડીનો ત્યાગ કરે, જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે. નજીકના અંતરમાં તો પગપાળા પણ જઈ શકાય.
પોતાની ઓફીસ કે કેબિનની એન્ટી ચેમ્બરના ટોયલેટ જાતે સાફ કરે, તેનો ઉપયોગ માત્ર તે પોતે કરે છે.
કોઈપણ નેતા, મંત્રી કે અધિકારીને ફાળવેલા આવાસની સફાઈ જાતે કરે, ટોયલેટ સાફ જાતે કરે, રસોઈ જાતે બનાવે, બાળકોને સ્કૂલે મુકવામાં સરકારી વાહનનો ઉપયોગ બંધ કરે અને ઘરમાં પટ્ટાવાળા કે નોકર કે ઓડરલી જેવી વ્યવસ્થા ત્યજી દે.
કોઈપણ અધિકારી કે નેતા માટે પીએ (અંગત મદદનીશ) જેવી પોસ્ટ ન હોવી જોઈએ. પોતાના ફોન જાતે ઉપાડો, પોતાનું વ્યક્તિગત મુલાકાત કે ટાઇમટેબલ જાતે નિભાવો, આટલા તો આત્મ નિર્ભર બની જ શકાય.
માત્ર નેતા અને અધિકારીઓ આત્મનિર્ભર બનવાથી કરોડો રૂપિયા બચી શકે છે. આ તો વ્યક્તિગત આત્મનિર્ભરતાની વાત છે.
પોતાનું જમવાનું જાતે બનાવો કે પોતાના કામ જાતે કરવા આ પણ આમાં સમાવી શકાય છે પણ આ ખૂબ અઘરું છે. ક્યારેય થશે નહી.
સરકારી નોકરી કે હોદ્દો માત્ર આર્થિક સુરક્ષાના ભાવ માટે નથી પણ તેમાં રોલો છે, વટ છે, પાવર છે, એ ક્યારેય નહીં છૂટે. દા.ત. હું ચપટી વગાડું તો આમ થઈ જાય, આવું બોલતા લોકોને સાંભળ્યા હશે.
લોકશાહીમાં ગરીબ અને મધ્યમવર્ગના પ્રતિનિધિ, સેવક અને અમલદારો માત્ર નોકરોની ફોજ, રાજાશાહી સવલતો અને બેફામ સત્તા મેળવવા જ જાહેર જીવનમાં આવે છે. કેટલાક અધિકારી કે નેતા અપવાદ હોઈ શકે પણ તે શોધવા પડે છે.
આત્મ નિર્ભરતા રાતોરાત નહીં આવે…
ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનતા તો દાયકાઓ લાગી શકે પણ વ્યક્તિગત આત્મનિર્ભરતા તો મેળવવી શક્ય છે. સરકાર માત્ર કાયદો બનાવી કે હયાત કાયદામાં ફેરફાર કરી કે પછી અધ્યાદેશ લાવીને પણ આવું કરી શકે.
(નોંધ : સરકારી ઉચ્ચ અધિકારીઓ કે મોટા પદો ઉપર બેઠેલા નેતાઓનો સમય કિંમતી છે એવી દલીલ કેટલાક લોકો કરી શકે પણ આ ગરીબોના દેશમાં સમયની ક્યાં કોઈએ કિંમત કરી છે. દેશ આત્મનિર્ભર બની રહ્યો હોય તો અધિકારીઓ અને નેતા પોતાનું કામ તો જાતે કરી જ શકે.. અઘરો ટાસ્ક છે.. )