સવર્ણ હિંદુ સાહિત્ય | મેં પણ એકવાર એવી વાર્તા ઘસી કાઢેલી. પણ તમે આ ના કરશો.

આમાં કેટલું બજેટ હશે?
વાર્તા લખીને ક્રાંતિ કરવા જઈ રહ્યા છે આ નવોદિત? ત્રણેક વર્ષ પહેલાં પણ આવું જ ચાલેલું કે રાજકોટ, ભાવનગર, જામનગર, પાટણ મને લાગ્યું કે આ લોકો બસના બોર્ડ કેમ વંચાવે છે?
બસ, મુશાયરા અને શિબિરો અને મોટામોટા મહાન ઍવૉર્ડધારીના લાંબાલચક ઊંઘ આપનાર ભાષણો થાય.
વિચાર આવ્યો કે આ સરકારી સંસ્થા છે? જો હા, તો આ પ્રજાના રૂપિયાની ધૂળધાણી કહેવાય ને? કહેવાય કે ના કહેવાય મિત્રો?(માન. સાહેબની સ્ટાઇલમાં પૂછું છું☺️ખોટું ન લગાડતા!)
હવે તમે વિચારો કે એક તરફ એવા દસ્તાવેજી પુસ્તકો છે કે જેના નામ માત્ર મળે છે એ પુસ્તક મળતાં નથી એની ફરથી પ્રિન્ટ કરવી જોઈએ કે આવા પોગ્રામ કરવાના? ચાલો એવા પુસ્તકો નથી અને રાજ્યમાં જે માંગો એ તમામ સાહિત્ય ઉપલબ્ધ કરાવ્યું છે તો પછી-
રાજ્યના લોકોમાં વાંચનરુચિ કેમ ખતમ થઈ ગઈ છે? કેમ રાજ્ય સરકારે એક સમયે ‘વાંચે ગુજરાત અભિયાન’ ચલાવવું પડ્યું?
કેમ તમારું સાહિત્ય કોઈ વાંચતું નથી એટલે યુનિવર્સિટીઓમાં ઓળખાણ લગાવીને એકબીજાના પુસ્તકો અભ્યાસક્રમમાં ઠોકી મારો છો? કેમ તમારું સાહિત્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઠોકી માર્યું? એકવાર પ્રયોગ ખાતર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી હટાવી જુઓ… પછી આજે જે વેચાય છે એનું 1% પણ કોઈ ખરીદવા તૈયાર થાય તો!
આ બધા સવાલોના જવાબ મેળવવા માટે તમારે કોઈ phd કરવાની જરુર નથી! બસ, તમે આવા એકબે કાર્યક્રમમાં જાઓ એટલે તમને લાગશે કે બસ… બધું નિરર્થક અને નશ્વર છે. મોક્ષ માંગતા કરી દે તમને! ☺️
એમ પણ આજના નવોદિતને વાર્તાનો વિષય પણ કેવો આપશે? તો કે’ લવ-લફરાંબાજીનો… મેં પણ એકવાર એવી એક વાર્તા ઘસી કાઢેલી. વિષય જ એવો આપેલ કે તમારી કૉલેજમાં તમને થયેલ પ્રથમ પ્રેમનો અનુભવ લખો! એમાં પાછું ઇનામ પણ રાખે! લાલચનું લીંબુ! એટલે જ પેલા પાખંડોપનિષદવાળા વિમોચનમાં એક કવિએ કહ્યું હતું ને કે “નવરા નવાર મુંડા છો તો લખ્યા કરો, બસ કલમ ઘસ્યા કરો…” બેરોજગાર માણસ હોય એને બે ટાઈમ જમવાનું મળે, ઇનામ મળે, નવોદિત તરીકે નામ મળે! યુવાનીમાં બીજું શું જોઈએ? આવા કાર્યક્રમ એક રીતે તો આશરો છે. પણ એ આશરો કેટલા દિવસનો? એ યુવાનોએ વિચારવાનું? નોકરી માટે વાંચો… નવોદિત બનાવની લાલચમાં રખડી જશો પણ યુવાનો સમજતા જ નથી. લઈ કલમને ઘસવા જતા રહે છે. અને ઘસાઈ ઘસાઈને ઉજળા નથી થવાતું ભાઈ… ખતમ થઈ જવાય ! કહેવતો હવે બદલાઈ ગઈ છે.
ચાલો હવે ખર્ચ પાડી જ દીધો છે. તો રાજ્યના લોકોની સમસ્યા બાબતે લખજો. હમણાં જ સમાચાર વાંચ્યા કે એક ગામમાં દલિત પરિવારે શીરો બનાવ્યો તો એને માર્યો, એક ધૂતારો પાખંડી લાખો રૂપિયા અંધશ્રદ્ધાના નામે લૂંટી ગયો. એક દીકરીએ એના પતિના ત્રાસથી આત્મહત્યા કરી… એવી કેટલીય બહેનો છે. એ બધી સમસ્યાઓ ઉપર લખજો કે લોકો વાંચશે.
બાકી, તમે નાહકનું લખો એમાં લોકોને નિસબત હોય નહીં અને લોકો વાંચે પણ નહીં… હવે જોવાનું એ રહેશે કે આ ખર્ચો માથે પાડીને આ લોકો દુનિયામાં કેટલો ફરક પાડશે?
©jayesh varia
05/03/2021