બૂક રિવ્યૂ | Ambedkar’s Preamble : ફક્ત બંધારણના આમુખને સમજવા માટે આ પુસ્તક સર્વોત્તમ બની રહેશે

સંવિધાન સભામાં ડો. આંબેડકર આમુખનું પ્રારૂપ તૈયાર કરતા સમયે કહે છે કે હું માનવ ગરિમા (Dignity) ને રાષ્ટ્રની એકતા(Unity & Integrity) થી આગળ સ્થાન આપીશ કારણ કે જયા સુધી વ્યકિતની માનવ ગરીમા નહી જાળવી શકાય ત્યા સુધી રાષ્ટ્રની એકતા ટકી શકે નહી.
સંવિધાનના આમુખમાં બંધુત્વને પરિભાષિત કરતા સમયની ચર્ચા દરમ્યાન ડો. આંબેડકર આ વાત કહે છે કે, જ્યાં સુધી રાષ્ટ્રના લોકોની માનવ ગરિમા નહી જાળવી શકીએ ત્યા સુધી રાષ્ટ્રના લોકો વચ્ચે બંધુત્વની ભાવના પેદા નહી થાય.
સંવિધાનનું આમુખ સંવિધાનની આત્મા છે. આપણે ઘણા બંધારણીય તજજ્ઞો પાસે આ વાક્ય સાંભળતા આવીએ છીએ. સુપ્રિમ કોર્ટના ઘણા જજમેન્ટમાં પણ માન. સુપ્રીમ કોર્ટના વિવિધ ન્યાયાધીશો દ્રારા આ બાબતની ટીપ્પણીઓ થઈ છે કે બંધારણનું આમુખ બંધારણનો હાર્દ છે. 26મી જાન્યુઆરી, 1950 ના રોજ ભારતમાં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આજ સુધી બંધારણનું આમુખ ચર્ચાનું કેન્દ્ર રહેલું છે. પરંતુ આપણે એ નથી જાણતા કે બંધારણના આમુખને ઘડવામાં ડો. બાબાસાહેબ આંબેડકરે પોતાની તમામ વિચક્ષણ બુદ્ધી ક્ષમતાને કામે લગાવી હતી.

એટલે જ “Ambedkar’s Preamble” પુસ્તકના લેખક “આકાશ સિંહ રાઠોર” પોતાના પુસ્તકનું ટાઈટલ પણ “આંબેડકર’સ પ્રિએમ્બલ” આપીને કહે છે કે, એ આમુખ જ છે જેણે ભારતીય નાગરીકના જીવનમાં પ્રબુદ્ધ જીવનનાં બીજ વાવ્યાં છે.
લેખક આકાશ સિંહ રાઠોર પોતાની પુસ્તક “આંબેડકર’સ પ્રિએમ્બલ” માં વિગતે ચર્ચા કરે છે કે અકલ્પનિય બૌદ્ધિક ખ્યાલ દ્રારા અતિમહત્ત્વનાં છ બંધારણીય મુલ્યો ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, સન્માન અને ભારતીય રાષ્ટ્રીયતાના પ્રેરક ડો. બાબાસાહેબ આંબેડકર હતા.
પુસ્તકનાં ચેપ્ટર આ પ્રમાણે છે:
ન્યાય:- ડો.બાબાસાહેબની કહાની
સ્વતંત્રતા:- સ્વરાજ કોનો જન્મ સિદ્ધ અધિકાર ?
સમાનતા:- બંધારણ એક ક્રાંતિકારી વિચાર
બંધુત્વ:- સર્વને પ્રેમ, ધૃણા કોઈની માટે નહી.
માનવ ગરિમા:- ફકત રોટી નહી પણ માનવ સન્માન
રાષ્ટ્ર:- ભવિષ્યનો ભ્રમ
વૈશ્વિક અને ભારતીય તજજ્ઞો દ્રારા ભારતીય બંધારણના એકમાત્ર શિલ્પકાર તરીકે ડો. આંબેડકરનું મુલ્યાંકન કરવા સાથે ડ્રાફટીંગ કમીટીના ચેરમેન તરીકે તેમના યોગદાનની ચર્ચા બાકી છે. ડો. આંબેડકર દ્રારા એકલા હાથે જ આમુખનું ઘડતર કરવામાં આવેલું તે બાબતની તદ્દન ઉપેક્ષા ભારતીય બૌદ્ધિક વર્ગ કરતો આવ્યો છે.
સુપ્રિમ કોર્ટના ભુતપુર્વ ચીફ જસ્ટિસ કે. જી. બાલાકૃષ્ણન આ પુસ્તક વિષે પોતાનું મંતવ્ય જણાવે છે કે, નાગરીક દ્રારા સંચાલિત ગણતંત્ર માટે બંધારણીય મુલ્યોની સર્વોપરિતા સામાજિક જીવન માટે જરુરી છે.
“Why I Am not Hindu” ના પ્રસિદ્ધ લેખક “કાંચા ઈલૈયાહ” જણાવે છે કે, આ પુસ્તક થકી ઘણા રહસ્યો ખુલી જાય છે અને એક જીવતાં જાગતા બંધારણના દર્શન થકી નાગરીક અધિકારની લડાઈને મજબુતી આપવા માટે દરેક વિધાર્થી, ન્યાયધીશ, નાગરીક હક્કોના સંરક્ષક અને એડવોકેટે આ પુસ્તકનો અભ્યાસ કરવો રહ્યો.
કાંચા ઈલૈહ્યા જણાવે છે કે ડો. આંબેડકર દ્રારા કેવી રીતે બંધારણના મુખ્ય શરીર એવાં આમુખનું ઘડતર કરવામા આવે છે જે ભવિષ્યમાં બંધારણનો મુખ્ય હાર્દ બનશે.
“મેમ્બર ઓફ ધ હાઉસ ઓફ ધ લોર્ડ” અને “ફેલો ઓફ બ્રીટીશ એકેડમી” ના ભીખુ પારેખ જણાવે છે કે બંધારણ પર ઘણી પુસ્તકો લખાઈ ચુકી છે પરંતુ ફક્ત આમુખને સમજવા માટે આ સર્વોત્તમ પુસ્તક બની રહેશે.